હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે. આવા જ એક શિવધામ ગણાતા રાજકોટના જસદણના પ્રખ્યાત ઘેલા સોમનાથ મંદિરમાં પરંપરાગત પૂજા-આરતીનો વિવાદ સામે આવ્યો છે. ભટ્ટ પરિવાર દ્વારા કલેક્ટરને રજૂઆત કરી જણાવાયું છે કે, તેઓ છેલ્લા 630 વર્ષથી ઘેલા સોમનાથ દાદાની મહાપૂજા અને મહાઆરતી કરતા આવ્યા છે, પરંતુ છેલ્લા એક વર્ષથી આ પરંપરા ખંડિત થઈ રહી છે. જો આ મામલે આગામી 24 કલાકમાં નિર્ણય કરવામાં નહીં આવે તો પરિવાર દ્વારા વડવાઓની ખાંભી સામે અન્ન અને જળનો ત્યાગ કરી ઉપવાસ આંદોલન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
ઘેલા સોમનાથ મંદિરમાં મહાઆરતી અને મહાપૂજાના વિવાદ સંદર્ભે ભટ્ટ પરિવાર દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, તેમનો ભટ્ટ પરિવાર આશરે છેલ્લા 630 વર્ષથી ઘેલા સોમનાથ દાદાની મહાપૂજા અને મહાઆરતી કરે છે. શ્રાવણ માસ દરમિયાન તેમજ મહાશિવરાત્રિના દિવસે બપોરની મહાપૂજા અને મહાઆરતી તેમના વેજલ દાદા ભટ્ટના સમયથી ચાલી આવે છે, જેનો ઇતિહાસ આજે પણ ઘેલા સોમનાથ દાદાના મંદિરમાં રાખવામાં આવેલો છે. જોકે, તેમના ભટ્ટ પરિવારની પરંપરામાં અત્યારે છેલ્લા 1 વર્ષથી 3-3 દિવસના વારા કરવામાં આવે છે, જેનાથી તેમની પરંપરા ખંડિત થાય છે અને તેમની લાગણીઓને ઠેસ પહોંચે છે.