રાજકોટ મહાનગરપાલિકાની ટીપી શાખા દ્વારા જંગલેશ્વર મેઇન રોડના 15 મીટરના રોડ પર રહેતા 1200 જેટલા પરિવારને કપાતની નોટિસ અપાતા દેકારો બોલી ગયો છે અને ભરચોમાસે નોટિસો આપવાના વિરોધમાં 300થી વધુ લત્તાવાસીઓનું ટોળું કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાની આગેવાની હેઠળ બુધવારે સવારમાં જ મહાનગરપાલિકા કચેરીએ ધસી આવ્યું હતું અને મહિલાઓ છાજિયાં લીધા હતા
ટોળાંએ ભાજપ હાય-હાયના સૂત્રોચ્ચાર સાથે કમિશનરની ગેરહાજરીમાં ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર પાઠવીને આઠ દિવસમાં આ મુદ્દે નિર્ણય ન લેવાય તો ઉગ્ર આંદોલનની ચેતવણી આપી હતી. ત્યારે ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે, આઠ દિવસમાં આપને આ અંગે ફરી બોલાવી બેઠક કરી શકાય ચર્ચા વિચારણા કરવામાં આવશે અને પ્રશ્નનું હકારાત્મક વર્ણન અપનાવી નિરાકરણ કરાશે તેવી ખાતરી અપાયા બાદ ટોળું વિખેરાયું હતું.
શહેર કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ અપાયેલા આવેદનમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, સોરઠિયા વે-બ્રિજથી જંગલેશ્વર મેઇન રોડ પર સોસાયટી લેઉવા પટેલ સોસાયટી, રાધાકૃષ્ણનગર, ભોજલરામ સોસાયટી, નર્મદા નગરના હાલ હયાત રોડ પહોળો કરવા બાબતમાં જણાવવાનું કે, નગર રચના યોજના ક્રમાંક 6 (રાજકોટ) ગુજરાત અર્બન ડેવલપમેન્ટ એક્ટ 1976ની કલમ 65 (1) મુજબ નામદાર ગુજરાત સરકારે તેમના ઠરાવ નંબર જીએચ/ની/81 ઓફ 1995 તારીખ પીએસ 1394-828 એલ તારીખ 19/6/1995 ના હુકમ મુજબ અંતિમ મંજૂર થઈ અમલમાં આવેલ છે