શહેરના ડો.યાજ્ઞિક રોડ પર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવના ગેરકાયદે બાંધકામને તોડી પાડવા રાજકોટ મહાનગરપાલિકાએ કલમ 260(1) મુજબની અને ત્યારબાદ 260(2) મુજબની નોટિસ આપ્યાના સવા વર્ષ બાદ પણ હજુ સુધી આ ગેરકાયદે બાંધકામ દૂર કર્યું નથી અને આટલું ઓછું હોય તેમ ચેમ્બર પ્રમુખે એક માસમાં પોતે ગેરકાયદે બાંધકામ તોડી પાડશે તેવું સોગંદનામું કર્યા બાદ પાંચ માસથી તેનું ગેરકાયદે બાંધકામના સીલ ખોલી આપ્યા છે અને હજુ સુધી મહાનગરપાલિકાના ટીપી શાખાના એકપણ અધિકારી ગેરકાયદે બાંધકામ દૂર થયું કે નહીં તે જોવા ડોકાયા નહીં હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકાએ ડો.યાજ્ઞિક રોડ પર આવેલા વી.પી.વૈષ્ણવના ગેરકાયદે બાંધકામ તોડી પાડવા માટે તા.08-02-2023ના રોજ 260(1) મુજબ અને ત્યારબાદ તા.01-09-2023ના રોજ 260(2) મુજબ નોટિસ આપી હતી. આ નોટિસ મુજબ વી.પી.વૈષ્ણવની માલિકીની જગ્યામાં પૂર્વ મંજૂરી મેળવ્યા વગર હયાત બાંધકામમાં આંતરિક ફેરફાર કરી નવા પાયાનું બાંધકામ કરાયાનું અને તે તોડી પાડવાનો હુકમ ટાઉન પ્લાનિંગ ઓફિસરે કર્યો હતો.