શહેરમાં નવા થોરાળા પાસેના કુબલિયાપરામાં રહેતો યુવાન ઘેરથી નીકળ્યા બાદ લાપતા થઇ ગયો હતો દરિમયાન આજી ડેમમાંથી લાશ મળી આવી હતી. જેમાં તેના પરિવારજનોએ યુવકની હત્યા કર્યાનો આક્ષેપ કર્યો હતો. જેમાં પોલીસે બે શખ્સોને ઉઠાવી લઇ તપાસ કરતાં ડેમમાં માછી મારી કરવા જતા ડૂબી ગયાનું બહાર આવ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વિઠ્ઠલવાવ ગૌશાળા પાસે આજીડેમમાંથી યુવાનની લાશ મળી આવતા આજીડેમ પોલીસ મથકના હરપાલસિંહ સહિતના સ્ટાફે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ કરતા મૃતક યુવાન કુબલિયાપરામાં રહેતો અમિત રાજુભાઇ મકવાણા (ઉ.વ.22) હોવાનું બહાર આવતા તેના પરિવારની પૂછતાછ કરી હતી. પોલીસની પૂછતાછમાં અમિત બે ભાઇ અને ત્રણ બહેનમાં નાનો હતો અને છૂટક મજૂરીકામ કરતો હોવાનું જણાવ્યું હતું. મૃતકના ભાઇ વિક્કીએ જણાવ્યું હતું કે, તેના ભાઇ અમિત રાત સુધી પરત ઘેર નહીં આવતા પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી. દરમિયાન તેનો ભાઇ પાડોશમાં રહેતા વિશાલ ઉર્ફે ગેડરો, સુજલ સહિતના સાથે વિઠ્ઠલવાવ પાસે આજીડેમના કાંઠે મચ્છી ખાવા માટે ગયો હતો. બાદમાં તેને પૂછતા તેના ભાઇ સહિતે મચ્છી ખાવા ગયા હતા બાદમાં ત્યાથી તારો ભાઇ ક્યા ગયો હતો તે અમને ખબર નથી. બાદમાં સવારે આજીડેમમાંથી અમિતની લાશ મળી આવી હતી. વિક્કીએ વધુ જણાવ્યું હતું કે, અમારે અને ગેડરાને છ માસ પહેલા માથાકૂટ થઇ હતી જેનું મનદુ:ખ રાખી મારા ભાઇની હત્યા થયાનો આક્ષેપ કર્યો હતો.