ગુજરાત સરકાર દ્વારા કોલેજોમાં ગ્રેજ્યુએશન પૂરું કરનાર વિદ્યાર્થીઓને સારામાં સારી રોજગારી મળી રહે તે માટે તમામ કોલેજોમાં પ્લેસમેન્ટ ફેર એટલે કે રોજગાર મેળાનું આયોજન કરવા માટે આદેશ કરાયો છે અને તેના માટે તમામ બિનસરકારી અનુદાનિત કોલેજોને ₹50-50 હજારની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. રાજ્ય સરકારે કુલ 357 કોલેજને રૂ. 1,78,50,000ની ફાળવણી કરી છે.રાજ્ય સરકારના આ અભિગમથી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મોટી મોટી કંપનીઓમાં રોજગારીનો માર્ગ ખુલ્લો થશે અને તેમને કોલેજ પૂરી થતાં જ નોકરી મળી જશે.
રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓની રોજગારી માટે પ્લેસમેન્ટ સેલ અંતર્ગત રોજગારલક્ષી મેળાઓ હાથ ધરવામાં આવે છે અને આ મેળાઓમાં કોલેજો પાસેથી રોજગારલક્ષી ડેટાબેઝ તૈયાર કરવામાં આવે છે તથા રોજગારના પૂરી પાડતી કંપનીઓ પાસેથી આ અંગેની માહિતી મેળવવામાં આવે છે. શિક્ષણ વિભાગ દ્વારા ઉદીસા પ્લેસમેન્ટ અંતર્ગત બજેટમાં રોજગારલક્ષી મેળા યોજવા બજેટમાં ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે અને તેની વહીવટી મંજૂરી પણ આપવામાં આવી છે.
તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા નોલેજ કોનસોરર્ટિયમ ઓફ ગુજરાત (કે.સી.જી.) મારફત ગુજરાતની 357 ગ્રાન્ટેડ કોલેજને રૂ.50-50 હજારની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.જેના કારણે આગામી ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં કોલેજોમાં મોટા પાયે રોજગારી મેળા યોજાશે.