સમગ્ર ગુજરાતમાં હાઇપ્રોફાઇલ બનેલી ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલને ધોબી પછડાટ આપી ભાજપ પ્રેરિત પેનલે વટભેર વિજય મેળવ્યા બાદ આજે નાગરિક બેંક ભવનમાં યોજાયેલી નવા સુકાનીઓની ચુંટણીમાં સતત ત્રીજી વખત અશોકભાઈ પીપળીયા ચેરમેન પદે બીનહરીફ જાહેર થયા હતા. જ્યારે વાઇસ ચેરમેન પદે જ્યોતિરાદિત્યસિંહ (ગણેશ) જાડેજા અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે પ્રફુલભાઈ ટોળીયા બીનહરીફ બન્યા હતા. નાગરિક બેંક ની ચૂંટણીમાં ભાજપે જયરાજસિહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ નાગરિક બેંકનાં છેલ્લાં 5 વર્ષથી સફળ સુકાની સાબિત થયેલા અશોકભાઈ પીપળીયાને ‘ચહેરો’ બનાવી યોજાયેલી ચુંટણીમાં ધાર્યું પરિણામ પાર પાડ્યુ હતું. જ્યોતિરાદિત્યસિંહે જૂનાગઢ જેલમાં રહી ચૂંટણી જીતીને વાઇસ ચેરમેન બન્યા છે.
ઉલ્લેખનીય છે કે જ્યોતિરાદિત્યસિંહનાં પિતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ 30 વર્ષ પહેલાં નાગરિક બેંકમાં વાઇસ ચેરમેન બની રાજકીય કારકીર્દી ની શરુઆત કરી હતી. હવે જ્યોતિરાદિત્યસિંહનું પણ નાગરિક બેંક દ્વારા રાજકીય લોંચીંગ થયુ ગણાશે. પ્રફુલભાઈ ટોળીયા નાગરિક બેંક માં એમ.ડી નું પદ મેળવી તેમણે શહેરી રાજનીતિમાં પ્રવેશ કર્યો છે.