મોરબી જિલ્લા પોલીસના ચોપડે ગુજસીટોક તેમજ મમુ દાઢી હત્યા સહિતના કેસમાં કુખ્યાત શખ્સ આરિફ ગુલ મહંમદ મીર તેમજ મકસુદ ગફુર સમા અને કાદર ઉર્ફે બચ્ચન ગનીભાઈ મતવા નામના ત્રણ શખ્સો લાંબા સમયથી નાસતા ફરતા હોય મોરબી પોલીસે આરોપીઓને ઝડપી લેવા અલગ અલગ જગ્યાએ તપાસ હાથ ધરી હતી પરંતુ તેઓનો કોઈ પત્તો લાગ્યો ન હતો જેથી તેઓને મોસ્ટ વોન્ટેડ જાહેર કર્યા હતા અને હરીફ ગુલ મહંમદ મીર પર એક લાખ, મકસુદ ગફુર સમા પર ચાલીસ હજાર અને કાદર ઉર્ફે બચ્ચન ગની મતવા પર 30,000 નું ઇનામ જાહેર કર્યું હતું તેમ છતાં આરોપીઓનો કોઈ પતો લાગ્યો ન હતો. દરમિયાન આજે આ ત્રણેય આરોપીઓ અચાનક રાજકોટ ખાતે આવેલ ગુજસીટોક કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. કોર્ટ દ્વારા ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરવા આદેશ કરાયો હતો.
ઉલ્લેખનીય છે કે, મોરબીના નામચીન મમુ દાઢીની હત્યામાં આરોપીઓના નામ ખુલ્યા બાદથી આરોપીઓ ફરાર થઈ ગયા હતા જેમાંથી કેટલાક આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા પરંતુ કુખ્યાત આરીફ મીર અને તેના બે સાગરીતો ફરાર હોય જેથી આં આરોપીઓ પર 2021માં રાજ્ય સરકાર દ્વારા ઓર્ગેનાઈઝ ક્રાઈમ રોકવા માટે અમલમાં મુકવામાં આવેલા ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. લાંબા સમયથી આરોપીઓ ફરાર હોવાથી તપાસ અધિકારી દ્વારા ત્રણેય આરોપીની મિલકત પણ જપ્ત કરવા સરકારમાં દરખાસ્ત મોકલી હતી જે દરખાસ્ત મંજૂર થયા બાદ મોરબી પોલીસે ગયા એપ્રિલ મહિનામાં પોલીસે વાહન, ડેલો અને અન્ય 16 જેટલી અંદાજિત 1.80 કરોડની મિલકત સીલ કરી દીધી હતી જ્યારે 7 મિલકત ભાડા પર હતી તેને ઓન નોટિસ ફટકારી હતી. જ્યારે બેંક એકાઉન્ટ પણ ફ્રીઝ કરાવી દેવાયા હતા. પોલીસે આરોપીઓ વિરૂધ્ધ આટલા કડક એક્શન લેવાયા છતાં તેઓ હાજર થયા ન હતા જોકે આજે અચાનક કોર્ટમાં સામેથી હાજર થઈ ગયા હતા.