ગુજરાતમાં માવઠાના કારણે ખેતીપાકને વ્યાપક નુકસાન થયું હોઈ, સરકારે ખેડૂતો માટે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. AAP નેતાઓે આ પેકેજને લઈ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ રાહત પેકેજને ખેડૂત મજાક પેકેજ ગણાવ્યું છે. તો મહિલા નેતા જિગીષા પટેલે ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો સાથે ઓટલા બેઠક કરી પેકેજ મામલે સરકાર પર પ્રહારો કર્યા હતા. ગોંડલના દેવચડી ગામમાં ભાજપના કાર્યકર્તા અને જિગીષા પટેલ વચ્ચે ગણેશ ગોંડલને લઈ ઉગ્ર બોલાચાલી થઈ હતી. ભાજપના કાર્યકર્તાએ કહ્યું હતું કે બહેન, તમે સુરતમાં હતાં એ બરાબર હતાં, અહીં ન મથો.
કમોસમી વરસાદથી થયેલા નુકસાનનું નિરીક્ષણ કરવા AAP નેતા જિગીષા પટેલ બે દિવસીય પ્રવાસે ગોંડલ તાલુકાના દેવચડી અને શિવરાજગઢ ગામના ખેડૂતોને મળવા પહોંચ્યાં હતાં. દેવચડી ગામે ચર્ચા દરમિયાન જિગીષા પટેલે સરકારે જાહેર કરેલા રાહત પેકેજ પર સવાલ ઉઠાવ્યા હતા.
ત્યાં હાજર સ્થાનિક ભાજપ કાર્યકર્તા ભરત રૈયાણીએ સરકારી પેકેજને “બહુ જ સારી વાત” ગણાવ્યું. કાર્યકરની આ વાત સાંભળીને અન્ય ખેડૂતોએ તરત જ અસંતોષ વ્યક્ત કર્યો. એક ખેડૂતે કહ્યું, શું સારી વાત છે? વીઘે રૂ. 3,520/- મળે એમાં નુકસાન જ છે, એનાથી તો પાછળનું બિયારણ પણ નથી થતું.”