રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈ ઉમેદવારી રદ કરવા ક્ષત્રિયોએ માગ કરી હતી. ભાજપ દ્વારા ઉમેદવારી રદ ન કરવામાં આવતાં હવે નારાજ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ- 2 શરૂ કરવાની રણનીતિ ઘડવામાં આવી રહી છે. આજે 19મી એપ્રિલના રોજ ફોર્મ ભરવાના છેલ્લા દિવસે રાજપૂત સંકલન સમિતિ અને તેની સાથે રાજપૂત સમાજની 92 સંસ્થાના પ્રતિનિધિઓની એક મહત્ત્વની બેઠક ગોતા રાજપૂત ભવન ખાતે રાખવામાં આવી છે. આ બેઠક બાદ પ્રેસ-કોન્ફરન્સ કરી અગત્યની જાહેરાત અને આગામી કાર્યક્રમો અંગે જાણ કરવામાં આવશે. 108 ક્ષત્રિયાણીઓએ ફોર્મ લીધા હતા અને આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો તેમ છતા એક પણ ક્ષત્રિયાણીએ રૂપાલાની ઉમેદવારી વિરુદ્ધ ફોર્મ ભર્યું નથી.
પી.ટી. જાડેજા સંકલન સમિતિની બેઠકમાં પહોંચ્યા
સંકલન સમિતિની બેઠક ચાલી રહી છે ત્યાં પદ્મીનીબા વિરોધના મૂડમાં પહોંચ્યા છે. સંકલન સમિતિની મહિલાઓ પદ્મિનીબાને હોલમાં લઈ ગયા છે અને હોલના દરવાજા બંધ કરી દીધા છે. હવે બેઠકમાં રણનીતિ નક્કી થયા બાદ 06 વાગે પ્રેસ કોન્ફરન્સ થશે. પી.ટી. જાડેજા સંકલન સમિતિની બેઠકમાં નહિ આવે તેમ કહ્યું હતું, પરંતુ તેઓ અહીં આવ્યા છે. રાજપૂત ભવન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો પોલીસ સ્ટાફ હાજર છે.