કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાણાકીય સહાય મેળવતા ખેડૂતોને ચેતવણી આપી છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે ખેડૂતોને સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ પર ફેલાતા ફેક મેસેજ અને લિંક્સથી સાવધાન રહેવા જણાવ્યું છે.
આ ફેક મેસેજ ખેડૂતોને કિસાન સન્માન નિધિના હપ્તો ચેક કરવાના અથવા વધારાના લાભની લાલચ આપીને તેમના બેંક ખાતા સંબંધિત વ્યક્તિગત માહિતી માંગે છે. પછી તેઓ ચોરાયેલા પર્સનલ ડેટાનો ઉપયોગ કરીને ખેડૂતો સાથે છેતરપિંડી કરે છે.
કૃષિ મંત્રાલયે જણાવ્યું હતું કે છેતરપિંડી કરનારાઓ સોશિયલ મીડિયા, વોટ્સએપ અને એસએમએસ દ્વારા પીએમ-કિસાન યોજનાના નામે ફેસ મેસેજ મોકલી રહ્યા છે. આ મેસેજમાં ખેડૂતોને વધારાના પૈસા, બોનસ અથવા તાત્કાલિક હપ્તાનું વચન આપે છે. ઘણી વખત આ છેતરપિંડી કરનારાઓ આધાર નંબર, બેંક ખાતાની વિગતો અથવા OTP માંગે છે.
આ ઉપરાંત, એક મેસેજ દ્વારા લિંક મોકલવામાં આવે છે અને લોકોને તેના પર ક્લિક કરવાનું કહેવામાં આવે છે. લિંક પર ક્લિક કરીને OTP દાખલ કરતાની સાથે જ, તમારા ખાતામાંથી પૈસા ઉપાડીને તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ખોટી લિંક્સ અથવા APK એપ્સ ડાઉનલોડ કરવાથી ફોન હેકિંગ અને ડેટા ચોરી થવાનું જોખમ રહેલું છે.