કેનેડાના બ્રેમ્પટન શહેરમાં ખાલિસ્તાનીઓએ ત્રિવેણી મંદિરની બહાર ભારત વિરુદ્ધ નારા લગાવ્યા. ખાલિસ્તાનીઓના એકઠા થવાથી શહેરમાં 2 કલાક સુધી તણાવપૂર્ણ માહોલ રહ્યો. હિંસક ઘટનાને રોકવા માટે કેનેડા પોલીસનો મોટો કાફલો તહેનાત રહ્યો.
ખાલિસ્તાનીઓએ નારા લગાવતા હરિયાણા-દિલ્હી અને બીકાનેર પર પોતાનો હક ગણાવ્યો. તેમજ, સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ખાલિસ્તાન સમર્થકોને પ્રદર્શન માટે ભાડે લાવવામાં આવ્યા હતા.
એક્સ પર એક યુઝર દર્શન મહારાજાએ લખ્યું કે ખાલિસ્તાની આતંકવાદીઓએ લોકોને એકઠા કરવા માટે 100-100 ડોલરની લાલચ આપી. જેના કારણે લગભગ 40 થી 50 લોકોને નારા લગાવવા માટે ઉશ્કેરવામાં આવ્યા.
5 માર્ચની બપોરે જ્યારે મંદિરમાં શ્રદ્ધાળુઓ પૂજા-અર્ચના માટે એકઠા થઈ રહ્યા હતા, ત્યારે બપોરે લગભગ 12 વાગ્યાથી 2 વાગ્યાની વચ્ચે મંદિરની સામેના રસ્તા પર ખાલિસ્તાન સમર્થકો એકઠા થવા લાગ્યા. પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ) એ હિન્દુ મંદિરોની બહાર વિરોધ નોંધાવ્યો.
આ જ પ્રકારનું એક પ્રદર્શન બ્રિટિશ કોલંબિયાના સરે સ્થિત લક્ષ્મી નારાયણ મંદિરની બહાર પણ કરવાનું હતું, પરંતુ ત્યાં ખાલિસ્તાનીઓને પ્રદર્શન કરવા દેવામાં આવ્યું ન હતું.
નજરેજોનારે જણાવ્યું કે પ્રદર્શનમાં લગભગ 40 લોકો હાજર હતા. આ લોકો રસ્તા કિનારે લગાવેલા મેટલ બેરિકેડ્સ પાછળ ઊભા રહીને પીળા ખાલિસ્તાની ઝંડા લહેરાવી રહ્યા હતા. પ્રદર્શનકારીઓના હાથમાં કેટલાક વિવાદાસ્પદ પોસ્ટર પણ હતા, જેના પર વોન્ટેડ લખેલું હતું અને કેટલાક વ્યક્તિઓની તસવીરો પણ હતી.