કેદારનાથ દર્શન માટે પહોંચેલા સૌરાષ્ટ્રના શ્રધ્ધાળુઓ ફસાયા હોવાની ઘટના સામે આવી છે. રાજકોટના પડધરી તાલુકાના દેપાળીયામાં શ્રી રામધૂન મંડળના 180 લોકો ત્યાં દર્શન માટે પહોંચ્યા છે. જોકે તેમાંથી ગુપ્ત કાશીમાં દર્શન માટે ગયેલા 47 શ્રધ્ધાળુઓ ફસાઈ ગયા હતા. કારણકે ત્યાં ગૌરીકુંડથી સોનપ્રયાગ સુધીનો રસ્તો તૂટી ગયો. બાદમાં તંત્રે 6 કિલોમીટરના રસ્તે કામચલાઉ લાકડાનો પૂલ બનાવતા લોકોને વરસાદ વચ્ચે પગપાળા જઈ મુશ્કેલી ભોગવવી પડી છે.
ગૌરીકુંડથી સોનપ્રયાગ વચ્ચેનો રસ્તો તૂટી જતા 47 યાત્રિકો ફસાયા હતા રાજકોટના દેપાળીયામાં શ્રી રામધૂન મંડળના પ્રમુખ ધીરુભાઈ ચિકાણી અને બાબુભાઈ ગોપાણીએ જણાવ્યું હતું કે, ગુપ્ત કાશીમાં અમે 180 વ્યક્તિઓ આવ્યા હતા. જેમાંથી 133 વ્યક્તિઓ ગઈકાલે દર્શન કરી અને પરત ફરી ગયા હતા જ્યારે 47 વ્યક્તિઓ દર્શન માટે આવ્યા હતા. કેદારનાથથી 20 કિલોમીટર દૂર ગૌરીકુંડ આવેલો છે. ગૌરી કુંડથી સોનપ્રયાગ સુધીનો 6 કિલોમીટરનો રસ્તો તૂટી જતા અમે અહીં ગઈકાલના ફસાઈ ગયા હતા. જોકે હવે અહીં તંત્ર દ્વારા કામ ચલાવ લાકડાનો પુલ બનાવવામાં આવેલ છે તેની મદદથી લોકો પગપાળા અહીંથી પસાર થઈ શકે છે જેથી અમે ગૌરી કુંડથી સોનપ્રયાગ જવા માટે પગપાળા નિકળી રહ્યા છે.
ભારે વરસાદના કારણે પ્રવાસીઓ મુશ્કેલી મૂકાયા કેદારનાથમાં ભારે વરસાદના કારણે રસ્તો તૂટી જતા અનેક લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. દેપાળીયા શ્રી રામધૂન મંડળમાં રાજકોટ, જામનગર, વલસાડ, વાપી અને અમદાવાદ સહિતના જિલ્લામાંથી લોકો અહીં દર્શન માટે આવેલા છે. અહીં વરસાદને કારણે અનેક જગ્યાએ તારાજી જોવા મળે છે. રસ્તાઓ તૂટી જતા વાહન વ્યવહારને ગંભીર અસર પહોંચી છે. જેને કારણે માત્ર રાજકોટ અને સૌરાષ્ટ્રની પરંતુ સમગ્ર ગુજરાત તેમજ ભારતના અન્ય રાજ્યોના અહીં આવેલા લોકો પણ મુશ્કેલી રહ્યા છે.