રાજકોટમાં પોલીસની ધાક ઓસરી હોય તેમ તસ્કરો એક બાદ એક ચોરીની ઘટનાઓને અંજામ આપી પડકાર ફેંકી રહ્યા છે. ત્યારે હવે તસ્કરોએ ઘર-મકાન બાદ મંદિરોને નિશાને બનાવ્યું હોવાનો બનાવ પ્રકાશમાં આવતા પોલીસે ગુનો નોંધી તસ્કરીની શોધખોળ હાથ ધરી છે.
ખેરડી ગામ રહેતા ખીમજીભાઈ સોમાભાઈ નકુમે કુવાડવા રોડ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે નદીના કાંઠે મશાણી મેલડી માતાજીનું મંદિર આવેલ છે જ્યાં મારા પિતા સવાર-સાંજ આરતી તથા દીવાબત્તીનું કામ કરે છે.
ગઈકાલ પિતાએ મને ફોન કરી મંદિરમાં ચોરી થયેલ હોવાની વાત કરેલ જેથી હું મંદિરે જઈ જોતા દરવાજાના નકુચા તુટેલી હાલતમાં જોવા મળેલ જેથી અંદર જઈ તપાસ કરતા માતાજીની મૂર્તિ પરનો ચાંદીનો મુંગટ તથા ચાંદીના છત્તર, મંદિરમાં લગાડેલા સીસીટીવીનું ડીવીઆર સહિતનું જોવા ન મળતા કુલ રૂ.1.92 લાખની ચોરી થયાની ફરિયાદ નોંધાવતા કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઈ રજીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.જી.સોલંકીએ ગુનો નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.