રાજકોટનો કુખ્યાત તસ્કર ભાદો સોલંકી ત્રણ વર્ષ બાદ ફરીવાર સક્રિય થયો છે. તરઘડીયાની રૂ. 6.47 લાખની ચોરીના ગુનામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને ઝડપી પાડ્યો હતો. ગત 3 ડિસેમ્બરના રોજ ધોળા દિવસે ખેડૂતના બંધ મકાનમાં જમાઈ અને પરપ્રાંતીય શખ્સ સાથે ટોળકી ત્રાટકી હતી અને ચોરીને અંજામ આપ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમે સસરા અને જમાઈને ઝડપી પાડી રૂ. 6.41 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. જોકે હજુ એક યુપીના શખ્સની શોધખોળ હાથ ધરી છે. કુખ્યાત તસ્કર વિરુદ્ધ રાજકોટ અને જૂનાગઢમાં છેલ્લા 10 વર્ષમાં ચોરી સહિતના 15 ગુના નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત અગાઉ તે પાસા હેઠળ પણ ધકેલાઈ ચૂક્યો છે.
બનાવ અંગે તરઘડીયા ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા રઘુભાઈ જગાભાઈ ઝાપડા (ઉ.વ. 52) દ્વારા કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ખેતીકામ કરે છે. તેઓ પરિવારના તમામ સભ્યો ઘરમાં લોખંડની જાળીને તાળું મારી સાયપર ગામે બનેવી ભીમાભાઇ ટોળીયાનું અવસાન થયું હોવાથી પાણીઢોળ વિધિ માટે ગયા હતા. બપોરના 2.30 વાગ્યે વિધિ પૂરી થયા બાદ પુત્રવધુ રાધાબેન તથા અન્ય સ્ત્રીઓ ગામે જવા માટે રવાના થયા હતા. જે પછી 3 વાગ્યા આસપાસ પુત્રવધુ રાધાબેનનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, ઘરની ઓસરીની લોખંડની જાળીનું તાળુ તૂટેલું છે અને સામાન વેરવિખેર છે, ચોરી થઈ છે.