ઘાંચીવાડના કુખ્યાત આરોપી અકરમ દાઉદાણીને યુનિવર્સિટી પોલીસ દ્વારા પાસા હેઠળ વડોદરા જેલ ખાતે મોકલ દેવામાં આવ્યો છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડી.સીપી. મહેન્દ્ર બગરીયા, ડીસીપી રાકેશ દેસાઇ અને એસીપી રાધિકા ભરાઇના માર્ગદર્શન હેઠળ અવારનવાર મારામારીના ગુનામાં સંડોવાયેલા શખ્સોને પાસા હેઠળ કાર્યવાહી કરવા આપેલ સૂચનાથી યુનિવર્સિટી પીઆઇ એચ.એન.પટેલ અને ટીમે અનેક મારામારીના ગુનામાં સંડોવાયેલ કુખ્યાત અકરમ રફીક દાઉદાણી વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી.
પોલીસ કમિશનરને મોકલાતા આરોપીને વડોદરા જેલ ખાતે મોકલી આપવાનો હુકમ કરતા યુનિવર્સિટી પોલીસની ટીમે આરોપીને પકડી પાડી વડોદરા જેલ હવાલે કરવા તજવીજ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે આરોપી વિરૂધ્ધ યુનિવર્સિટી પોલીસ મથકમાં ત્રણ ગુના અને એ ડીવીઝન પોલીસ મથકમાં ધમકી સહિતની કલમ હેઠળનો એક ગુનો નોંધાયેલ છે.
મનોજકુમાર રામપત ચૌહાણ (ઉં.વ.29) ગઈકાલે બપોરના 3 વાગ્યા આસપાસ મવડી ચોકડી પાસે આવેલ આર.કે. એમ્પાયર નામના બિલ્ડીંગમાં એક ઓફિસમાં POP કામ કરતો હતો. આ દરમિયાન અચાનક બેભાન થઈ પડી જતા ઇજા પહોંચી હતી. જેથી, તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતો. પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો જેની પ્રાથમિક તપાસમાં યુવકને હાર્ટ એટેક આવી ગયાનું અનુમાન તબીબો દ્વારા લગાવવામાં આવી રહ્યું છે. મૃતક મનોજકુમાર મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો. બે વર્ષ પહેલા જ તેના લગ્ન થયા હતા અને રાજકોટમાં રહી તે POP કામ કરતો હતો. અચાનક મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.