દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે શનિવારે કહ્યું કે ભાજપ જેલ-જેલની રમત ન રમે. આવતીકાલે હું મારા મોટા નેતાઓ સાથે બપોરે 12 વાગ્યે ભઆજપ હેડક્વાર્ટર જવાનો છું. તમારે જેને જેલમાં નાખવા હોય તેને નાખી દો.
કેજરીવાલે 2 મિનિટ 33 સેકન્ડના વીડિયોમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. તેમણે તેમના પીએ બિભવ કુમારનો ઉલ્લેખ કર્યો, પરંતુ પાર્ટી સાંસદ સ્વાતિ માલીવાલ પર એક પણ શબ્દ બોલ્યા નહીં. તેમણે કહ્યું કે ભાજપ અમને કચડી શકે નહીં. આમ આદમી પાર્ટી એક વિચાર છે. તમે જેટલા નેતાઓને જેલમાં નાખશો, તેટલા જ અમે આગળ વધીશું.
AAP સાંસદ સ્વાતિ માલીવાલ સાથે મારપીટ અને દુર્વ્યવહારના કેસમાં શનિવારે સવારે કેજરીવાલના પીએ બિભવની ધરપકડ કરવામાં આવી છે. તેમણે તીજ હજારી કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, પરંતુ કોર્ટે તેનો ઇનકાર કર્યો. માલીવાલનો આરોપ છે કે 13 મેના રોજ તે મુખ્યમંત્રીને મળવા માટે સીએમ હાઉસ ગઈ હતી. ત્યાં તેમના પીએ બિભવ કુમારે તેમને છાતી અને પેટ પર લાત મારી, માથું ટેબલ પર પછાડ્યું.