નાગપુરમાં વર્ષ 1985માં એક અપરિણીત માતાએ પોતાના 3 દિવસના બાળકને એક શેલ્ટર હોમમાં છોડી દીધું હતું. એક મહિના પછી નેધરલેન્ડથી ભારત ફરવા આવેલા એક દંપતીએ તેને દત્તક લીધું અને પોતાની સાથે લઈ ગયા.
આ ઘટનાને 41 વર્ષ વીતી ચૂક્યા છે. તે બાળક હવે નેધરલેન્ડની રાજધાની એમ્સ્ટરડેમ નજીક એક શહેર હીમસ્ટેડનો મેયર બની ગયો છે. હીમસ્ટેડના મેયર ફાલ્ગુન બિન્નેન્ડિજ્ક હવે પોતાની માતાને શોધવા માંગે છે. તેઓ છેલ્લીવાર ડિસેમ્બર 2025માં ભારત આવ્યા હતા.
ફાલ્ગુનનો જન્મ 10 ફેબ્રુઆરી, 1985ના રોજ થયો હતો. તેમની માતા તેમને નાગપુરના ‘માતૃ સેવા સંઘ’ નામના એક શેલ્ટર હોમમાં છોડી ગયા હતા, જ્યાં તેઓ લગભગ એક મહિના સુધી રહ્યા. શેલ્ટર હોમની નર્સે તેમને ફાલ્ગુન નામ આપ્યું. હિંદુ કેલેન્ડર મુજબ, બાળકનો જન્મ ફાલ્ગુન મહિનામાં જ થયો હતો.
ફાલ્ગુન 2025માં ત્રણ વખત ભારત આવ્યા. તેમને એક અધિકારીની મદદથી શેલ્ટર હોમની તે નર્સનું સરનામું મળ્યું, જે ફાલ્ગુનના જન્મ સમયે ત્યાં કામ કરતી હતી. તેઓ હવે નિવૃત્ત થઈ ચૂક્યા છે.
ફાલ્ગુન ઓગસ્ટ 2025માં નાગપુર આવ્યા હતા. નાગપુર કલેક્ટર વિપિન ઇટાંકરની મદદથી તેઓ તે નર્સના ઘરે પણ ગયા, જ્યાં તેમને જાણવા મળ્યું કે તેમનું નામ નર્સે જ રાખ્યું હતું. નર્સને મળીને ફાલ્ગુને કહ્યું, ‘હું તેમને મળીને ખૂબ ખુશ થયો. તે મહિલાને મળવું એક ક્યારેય ન ભૂલી શકાય તેવો અનુભવ હતો, જેણે મને મારી ઓળખ આપી.’