કથામાં અન્નનો બગાડ થવા નથી દેવાતો, રસોઈ ઘટતી નથી

કથામાં રોજ 50 હજારથી વધુ ભક્તો પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. ત્યારે અન્નનો બગાડ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે. જેટલા પણ ભક્તો આવે છે તેઓને ગરમ-ગરમ રસોઈ પીરસવામાં આવે છે. ભોજન પ્રસાદમાં દાળ-ભાત, શાક -રોટલી, મીઠાઈ, સલાડ સહિત રોજે-રોજ વિવિધ સામગ્રી બનાવવામાં આવે છે. પ્રસાદ વિતરણ માટે 3થી વધુ કાઉન્ટરો રાખવામાં આવ્યા છે અને પ્રસાદ વિતરણની કામગીરી અને મેનેજમેન્ટ મહિલાઓ સંભાળી રહ્યા છે. અંદાજિત 200થી વધુ સ્વયંસેવકો ભોજન વિભાગમાં સેવા આપી રહ્યા છે.

વૃક્ષોના જતન માટે કથાનું આયોજન કરાયું છે. ત્યારે બે દિવસની કથા દરમિયાન અનેક લોકોએ વૃક્ષ વાવેતર માટેનો સંકલ્પ લીધો છે. આ અભિયાનમાં એવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેશે કે, જેનું સરેરાશ આયુષ્ય 200 વર્ષનું હોય.જેને કારણે આવનારી પેઢીને પણ વૃક્ષનો વારસો મળે. સૌથી વધુ લોકોએ લીમડા, પીપળા, વડલા, કરંજ, અર્જુન, આસોપાલવ, કદમ્બ સહિતના વૃક્ષ વાવવાનો સંકલ્પ લીધો છે.

વિજયભાઈ ડોબરિયાના જણાવ્યા અનુસાર, અનેક લોકો વૃક્ષ વાવેતરનું મહત્ત્વ સમજ્યા છે. જેને કારણે બાળકોથી લઈને યુવાનો પોતાના જન્મદિવસ, લગ્નપ્રસંગે તેમજ પરિવારમાં કોઇ સારા પ્રસંગ હોય ત્યારે તેની પાછળ ખોટો ખર્ચ કરવાને બદલે તેઓ વૃક્ષ વાવીને ઉજવણીને યાદગાર બનાવે છે. આ ઉપરાંત સ્વજનોની પુણ્યતિથિ નિમિત્તે પણ ઘરના અન્ય સભ્યો વૃક્ષ વાવીને તેઓને સાચી શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *