દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ સમગ્ર દેશના એરપોર્ટ, રેલવે સ્ટેશન અને જાહેર સ્થળોએ સુરક્ષા વધારવામાં આવી છે. રાજકોટમાં જ્યાં વધુ જનમેદની એકઠી થાય છે તેવા મુખ્ય પરિવહન કેન્દ્રો-આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, રેલવે સ્ટેશન અને બસપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થાને પગલે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
એરપોર્ટમાં એલર્ટને પગલે સુરક્ષા વધારી દેવામાં આવી છે, યાત્રિકોનો સમાન બે વખત ચેક કરવામાં આવી રહ્યો છે. લોકોના વાહનની પણ તપાસ થઇ રહી છે. જ્યારે બીજી બાજુ રેલવે સ્ટેશનમાં RPF અને સ્થાનિક પોલીસ દ્વારા પણ ડોગ સ્ક્વોડ સાથે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, પરંતુ જ્યાં સૌથી વધુ લોકોની અવરજવર છે એવું રાજકોટનું બસપોર્ટ હાલ જાણે રેઢુપડ હોય તેવી સ્થિતિ જોવા મળી. કારણ કે, ત્યાં કોઈ પોલીસ બંદોબસ્ત ન હતો!
દિલ્હી બ્લાસ્ટ બાદ રાજકોટ એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર પ્રશંસનીય કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, પરંતુ બસપોર્ટની બેદરકારી સુરક્ષા તંત્રની નબળી કડી સાબિત થઈ શકે છે. સૌથી વધુ સામાન્ય લોકો જ્યાં એકઠા થાય છે, તેવા બસપોર્ટ પર સુરક્ષાનો અભાવ જોવા મળ્યો હતો.