સરકારના રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ હેઠળ બાળકોને નિ:શુલ્ક સારવાર દ્વારા સ્વસ્થતા પ્રદાન કરવામાં આવે છે. આ યોજના અંતર્ગત રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાની કેશવી કરમચંદાણીને સારવાર આપી સ્વસ્થ કરવામાં આવી હતી. કેશવીને જન્મતાથી જ તાળવાની ખામી હતી. જેને લઈને માતા-પિતા ચિંતામાં મુકાઈ ગયા હતા. જોકે, RBSKની ટીમે વિનામૂલ્યે તેની સારવાર કરી માસુમને સ્વસ્થ જીવન પ્રદાન કરતા પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ વર્ષ 2023માં જન્મેલી બાળકીના ઘરની આર.બી.એસ.કે.ની ટીમના ડો.જયસુખ વસાણી અને ડો.ફોરમ બારડે મુલાકાત લીધી હતી. આ વેળાએ બાળા કેશવીના સ્વાસ્થ્યની તપાસ દરમિયાન બાળકીને ક્લેફ્ટ પેલેટ (તાળવું તુટેલ) હોવાનું જણાયું હતું. આ જાણી ઉપલેટામાં નાની દુકાનના વેપારી અને આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા કેશવીના પિતા અને પરિવાર દુઃખી થયા હતા. આ સમયે આર.બી.એસ.કે.ની ટીમે પરિવારને સાંત્વના આપી હતી. ટીમના ડોકટર્સએ દીકરીના પરિજનોને બાળકોની ક્લેફ્ટ પેલેટની સમયસર સારવારથી દુર થયેલી ખામીના અનેક કિસ્સાઓ જણાવી તેઓને હિંમત આપી હતી.