મહારાષ્ટ્ર સરકારે નિર્ણય લીધો હતો કે ધોરણ 1 થી 5 સુધી હિન્દીને ત્રીજી ભાષા તરીકે શીખવવામાં આવશે, પરંતુ વિરોધ બાદ સરકારે આ નિર્ણય પાછો ખેંચી લીધો. આ જીતની ઉજવણી કરવા માટે શનિવારે ઘણા વર્ષો પછી ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક મંચ પર આવ્યા.
આ પછી, તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને ઉદ્ધવ અને રાજને હિન્દી વિરોધી લડાઈમાં જોડાવા બદલ અભિનંદન આપ્યા.
મહારાષ્ટ્રમાં હિન્દી પર ચાલી રહેલા વિવાદ વચ્ચે, ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ શનિવારે મુંબઈના વર્લી ઓડિટોરિયમ ખાતે ‘મરાઠી એકતા’ પર ‘મરાઠી વિજય રેલી’ યોજી હતી. બંનેએ 48 મિનિટ સુધી હિન્દી-મરાઠી ભાષા વિવાદ, મુંબઈ-મહારાષ્ટ્ર, ભાજપ અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું.
બંને નેતાઓએ કહ્યું- 3 લેંગ્વેજ ફોર્મુલા કેન્દ્ર તરફથી આવ્યું છે. હિન્દી સામે કોઈ વાંધો નથી, પરંતુ તેને લાદવી ન જોઈએ. જો મરાઠી માટે લડવું ગુંડાગીરી છે તો અમે ગુંડા છીએ.
ઉદ્ધવ અને રાજ 20 વર્ષ પછી સ્ટેજ પર સાથે જોવા મળ્યા હતા. તેઓ છેલ્લે 2006માં બાળાસાહેબ ઠાકરેની રેલીમાં સાથે જોવા મળ્યા હતા. ઉદ્ધવને શિવસેનાના વડા બનાવ્યા પછી, રાજે અલગ પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) બનાવ્યો હતો. તે સમયે બંને વચ્ચેના સંબંધો સારા નહોતા.