ઈરાને અમેરિકાના દબાણને સખત રીતે નકારી કાઢતા કહ્યું છે કે તે પોતાનો યુરેનિયમ સંવર્ધન (યુરેનિયમ એનરિચમેન્ટ) કાર્યક્રમ કોઈપણ ભોગે બંધ કરશે નહીં, ભલે તેને સૈન્ય ધમકીઓ મળે કે નવા પ્રતિબંધો લાદવામાં આવે.
રવિવારે તેહરાનમાં એક જાહેર કાર્યક્રમમાં ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે ઈરાનને ડરાવીને તેની પરમાણુ નીતિ બદલી શકાતી નથી અને અમેરિકાના ઈરાદા પર અમને ભરોસો નથી.
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઘણા વર્ષો પછી ઈરાન અને અમેરિકા વચ્ચે ઓમાનમાં વાતચીત ફરી શરૂ થઈ છે. ઈરાન ઈચ્છે છે કે તેના પર લાગેલા કડક આર્થિક પ્રતિબંધો હટાવવામાં આવે, જ્યારે અમેરિકા ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર રોક લગાવવા માંગે છે.
અરાઘચીએ સ્પષ્ટપણે કહ્યું કે યુરેનિયમ સંવર્ધન ઈરાન માટે કોઈપણ સંજોગોમાં સમજૂતીનો મુદ્દો નથી. તેમણે કહ્યું કે કોઈપણ દેશને એ અધિકાર નથી કે તે ઈરાનને કહે કે તેણે શું કરવું જોઈએ, ભલે યુદ્ધની ધમકી કેમ ન આપવામાં આવે.
તેમણે એમ પણ કહ્યું કે ક્ષેત્રમાં અમેરિકન સૈન્ય તહેનાતી, જેમ કે USS અબ્રાહમ લિંકન એરક્રાફ્ટ કેરિયરની હાજરી, ઈરાનને ડરાવવામાં નિષ્ફળ રહેશે.
ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું કે અમેરિકા પર ભરોસો કરવો મુશ્કેલ છે અને તે સ્પષ્ટ નથી કે વોશિંગ્ટન ખરેખર રાજદ્વારી ઉકેલ ઈચ્છે છે કે નહીં.
તેમણે જણાવ્યું કે ઈરાન કોઈ એવો કરાર કરશે નહીં જે તેની સ્વતંત્રતા અને સન્માનની વિરુદ્ધ હોય. સાથે જ તેમણે કહ્યું કે જો પ્રતિબંધોમાં રાહત મળે છે તો ઈરાન વિશ્વાસ વધારનારા કેટલાક પગલાંઓ પર વિચાર કરી શકે છે, પરંતુ આ બધું પરસ્પર સન્માન પર નિર્ભર રહેશે.
ઈરાન પર પરમાણુ હથિયારો બનાવવાનો પ્રયાસ કરવાનો આરોપ
પશ્ચિમી દેશો અને ઇઝરાયેલ લાંબા સમયથી આરોપ લગાવતા રહ્યા છે કે ઈરાન પરમાણુ હથિયારો બનાવવા માંગે છે, પરંતુ ઈરાન આ વાતનો ઇનકાર કરે છે. અરાઘચીએ કહ્યું કે ઈરાન કોઈ પરમાણુ બોમ્બની શોધમાં નથી અને તેની અસલી તાકાત મોટી શક્તિઓને ‘ના’ કહેવાની ક્ષમતા છે.
આ દરમિયાન અમેરિકા, ઈરાનની આસપાસ સતત પોતાની સૈન્ય તાકાતનું પ્રદર્શન કરી રહ્યું છે. ઈરાન સાથે અમેરિકી વાટાઘાટકાર સ્ટીવ વિટકૉફ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર જેરેડ કુશનરે થોડા સમય પહેલાં USS અબ્રાહમ લિંકન એરક્રાફ્ટ કેરિયરની મુલાકાત લીધી હતી.
અમેરિકાની સેનાએ કહ્યું કે આ તૈનાતી સુરક્ષા માટે છે અને ટ્રમ્પની ‘શાંતિ માટે તાકાત’ની નીતિનો એક ભાગ છે.