ધોરાજીના મોટીમારડ ગામના ધાર્મિકને જન્મગત હૃદયની બીમારી હતી અને તેની રાષ્ટ્ીય બાળ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત સમયસર નિશુલ્ક સારવાર અમદાવાદ કરાતાં તેને નવું જીવન અને જિંદગી મળી છે.
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય યોજના અનેક બાળકો માટે વરદાન રૂપ સાબિત થઈ છે. રાજય સરકાર દ્વારા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ જે હાલ રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ તરીકે અમલી છે તેના અંતર્ગત ૦ થી ૧૮ વર્ષ સુધીના બાળકોનું સ્ક્રિનીંગ કરી કોઈ પણ બીમારી જણાય તો લાખો રૂપિયાની સારવાર નિ:શુલ્ક કરી આપવામાં આવે છે.
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટીમારડ ગામના ધાર્મિકને જન્મથી જ હૃદયની કંઈક ખામી હતી. તા.૧૩/૦૯/૨૦૦૯ ના રોજ મજુરી કામ કરતા સુરેશભાઇના ગરીબ પરીવારમાં ધાર્મિકનો જન્મ થયો હતો.
ધોરાજીની આર.બી.એસ.કે ટીમના ડો.ગૌતમ મકવાણા અને ડો.હિરલ ઠુંમરે મોટીમારડ ખાતે તાલુકા પ્રાથમિક શાળાની વિઝીટ કરતા ધાર્મિકના સ્વાસ્થ્યનું સ્ક્રિનિંગ કર્યું તો તેને હૃદયની કોઈ ખામી હોવાનું જણાયું હતું. આથી ડી.ઇ.આઇ.સી. સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે તેની સઘન ચકાસણી કરાવવા જણાવ્યું હતું.રાજકોટ ખાતે તેને હ્રદયની ખામી હોવાનું નિદાન થતાં વધુ સારવાર માટે ધાર્મિકને યુ.એન. મહેતા હોસ્પિટલ- અમદાવાદ ખાતે લઈ જવા પરિવારને જણાવ્યું ત્યારે આ સાંભળી ધાર્મિકના માતા-પિતાને આર્થિક ચિંતા પણ સતાવવા લાગી હતી.