રાજકોટ સહિત રાજ્યની તમામ સરકારી શાળાઓમાં આજે આપણી શાળા, આપણું સ્વાભિમાન અભિયાનનો પ્રારંભ થયો હતો. જેમાં શાળાએ તીર્થધામ બને તે માટે રાજકોટની 1500થી વધુ સરકારી શાળાઓમાં શપથ ગ્રહણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શાળામાં સ્વચ્છતા જળવાય, એકબીજા સાથે કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખવામાં ન આવે, શાળાની સંપત્તિને રાષ્ટ્રની સંપત્તિ ગણી તેનું રક્ષણ કરવામાં આવે, શિક્ષણને માત્ર જ્ઞાનના સાધન તરીકે નહીં પણ ચારિત્ર્ય નિર્માણ, સ્વ-વિકાસ અને સમાજ સેવાના માધ્યમ તરીકે સ્વીકારવા અંગે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
જોકે, આ વખતે શહેરની પીએમ શ્રીશાળા નંબર 93 વિનોબા ભાવે સ્કૂલમાં ઉપસ્થિત રહેલા જિલ્લા શિક્ષણ અધિકારીએ આ કાર્યક્રમ સ્વેચ્છાએ હોવાથી તેનું મોનિટરિંગ કરવામાં નહીં આવે તેવું જાહેર કર્યું હતું. જેનો મતલબ એ થયો કે વિદ્યાર્થીઓને શિક્ષકોએ પ્રતિજ્ઞા લઈ લીધી અને કામ પૂરું થઈ ગયું. તેના પર અમલીકરણની કોઈ વાત ન હોવાથી આ કાર્યક્રમ શપથ પૂરતો સીમિત રહી ગયો હતો.