આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

એક સમયનું શાંત અને સલામત રાજકોટ આજે રક્તરંજીત બની બની ગયું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં મળી ચાર દિવસમાં પાંચ હત્યાના બનાવ સામે આવ્યા છે. જેમાં ગઈકાલે મોડી રાત્રીના વધુ એક હત્યાનો બનાવ સામે આવતા પોલીસની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. રાજકોટ અમદાવાદ હાઇવે પર આણંદપર ગામની સીમમાં ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારમાં પતિએ જ પત્નિની હત્યા નિપજાવતા કુવાડવા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આરોપી હત્યારા પતિને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ- અમદાવાદ હાઇવે પર કુવાડવા નજીક આણંદપર બાઘી ગામે વાડીમાં રહી ખેત મજૂરી કરતાં રાજસ્‍થાનના મજૂરે ગઈકાલે (5 ઓગસ્ટે) રાત્રિના પત્‍નિ સાથે બોલાચાલી થયા બાદ તેણીને કુહાડીના ઘા ઝીંકી ક્રુરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્‍યા બાદ પતિ પત્‍નીની લાશ પાસે જ બેસી રહ્યો હતો. જેથી થોડી વાર બાદ અન્‍ય મજૂર મારફત જાણ થતાં વાડી માલિક પહોંચ્‍યા હતાં અને કુવાડવા રોડ પોલીસને જાણ કરતાં પોલીસે વાડી માલિકની ફરિયાદ નોંધી હત્‍યારા પતિને સકંજામાં લઈ વધુ તપાસ હાથ ધરી છે.

4 ઓગસ્ટના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઠારીયા રોડ ઉપર સેલિબ્રેશન પાર્ટી પ્લોટની સામે ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાવેશ વ્યાસ નામના યુવકની છરીના ઘા મારી હત્યા નિપજાવવામાં આવી હતી. ભાવેશ પર છરી વડે હુમલો કરાતા તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જેને લઈને આજીડેમ પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 A, 352,354 તથા GP એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે બનાવ બાદ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમ હત્યા કરનારા ચારેય શખ્સોની શોધખોળમાં હતી. જે બાદ હ્યુમન ઇન્ટેલિજન્ટ અને ટેકનિકલ સોર્સની મદદથી ગુનાના ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. જેના નામ છે ધ્રુવીન મુકેશભાઈ દુધરેજીયા, શ્વેતા દિપસિંગભાઈ ગોહેલ અને કૌશલ રાજેશભાઈ નિમાવતની ધરપકડ કરવામાં આવેલી હતી

શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટમાં અવાવરૂ સ્થળેથી પરપ્રાંતીય યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. લાશ અર્ધનગ્ન હાલતમાં હતી. સમલૈંગિક સંબંધ સમયે માથાકૂટ થતાં યુવકને પથ્થરના ઘા ઝીંકી પતાવી દીધાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.

શહેરની ભાગોળે કોઠારિયા ચોકડી નજીક થોરાળા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મીરા ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રિયલ એરિયાના ખુલ્લા પ્લોટમાં એક યુવકની લાશ પડી હોવાની જાણ થતાં થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઇ વાઘેલા સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસ પહોંચી ત્યારે લાશ લોહીલુહાણ હાલતમાં પડી હતી. યુવકનું પેન્ટ ઉતરેલું હતું, તેનું માથું છૂંદી નાખવામાં આવ્યું હતું અને કાનમાં પણ ઇજાના નિશાન જોવા મળ્યા હતા. લાશ નજીક લોહીના ડાઘવાળો પથ્થર મળી આવ્યો હતો તે પથ્થરથી જ યુવકને રહેંસી નખાયાની દૃઢ શંકા સેવાઇ રહી છે.

પોલીસે તપાસ કરતાં મૃતક ઓરિસ્સાનો સુધીર ચુમારૂ સુના (ઉ.વ.34) હોવાનું ખુલ્યું હતું. લાશ તેના મોટાભાઇએ ઓળખી બતાવી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સુધીર સુના નાડોદાનગરમાં ભાડાની ઓરડીમાં રહેતો હતો અને લાદી ઘસવાનું કામ કરતો હતો, નાડોદાનગરથી સુધીર ઘટનાસ્થળે કેવી રીતે પહોંચ્યો તે તપાસનો મુદ્દો બન્યો હતો. જે અવસ્થામાં લાશ મળીએ સ્થળ અવાવરૂ હતું, તેમજ હત્યા રવિવારે મધરાતે થયાનું અનુમાન છે. આ તમામ સંજોગો પરથી એવી ચર્ચા ઊઠી હતી કે, સુધીર કોઇની સાથે સમલૈંગિક સંબંધ બાંધી રહ્યો હતો તે વખતે જ તે શખ્સ સાથે માથાકૂટ થતાં તેણે પથ્થરના ઘા ઝીંકી પતાવી દીધો હતો. પોલીસે હત્યારાની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *