ગુજરાતમાં શિક્ષણના ખાનગીકરણ અને ભ્રષ્ટાચાર સામે કોંગ્રેસે “ગુજરાત શિક્ષણ બચાવો આંદોલન”ની આજથી (9 સપ્ટેમ્બરે) શરૂઆત કરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ડૉ. ઇન્દ્રવિજયસિંહ ગોહિલની આગેવાનીમાં બપોરે 12થી 2 વાગ્યે ધરણા પ્રદર્શન યોજાશે. આંદોલન દરમિયાન ભાજપ સરકાર પર શિક્ષણનું વ્યાપારીકરણ, કાયમીને બદલે કોન્ટ્રાક્ટ આધારિત ભરતી, શાળાઓની માન્યતા રદ કરવી અને સરકારી શાળાઓ બંધ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ગુજરાત કોમન યુનિવર્સિટી એક્ટ એ રાજ્યની સરકારી યુનિવર્સિટીઓ વેચવાનું કાવતરું છે. કાયમી ભરતી કરવાને બદલે ખાનગીકરણ કરવામાં આવે છે. ફી ચૂકવી વિદ્યાર્થીઓને લૂંટાવુ પડે છે. 10 વર્ષથી વધુ સમયથી ગુજરાતમાં શારીરિક શિક્ષણના શિક્ષક, સંગીત, ચિત્ર અને કોમ્પ્યુટરના શિક્ષક તેમજ લાઇબ્રેરિયનની ભરતી થતી નથી. ગુજરાતમાં ભાજપના 30 વર્ષના શાસનમાં શિક્ષણ ખાડે ગયું છે. આ સાથે જ શિક્ષણમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે ત્યારે ગુજરાતના શિક્ષણને બચાવવા કોંગ્રેસનું આંદોલન રાજ્યમાં ઉગ્ર બનશે.