રાજકોટ પાસેનું હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ જાણે સુવિધાને બદલે દુવિધાનું ઘર બની ગયું છે. એક તરફ એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ શરૂ કરવાની વાતો ચાલી રહી છે, ત્યારે બીજી તરફ સામાન્ય સુવિધાઓનો પણ અભાવ જોવા મળે છે. એરપોર્ટના ટર્મિનલ નજીક જાણે શ્વાનોનું ‘અરાઈવલ’ બન્યું હોય એમ અહીં શ્વાનોએ ધામા નાખ્યા છે.
આ ઉપરાંત એસ્કેલેટર બંધ હોવા જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.આંતરરાષ્ટ્રીય દરજ્જો મળ્યા બાદ રાજકોટ એરપોર્ટ પર યાત્રી સેવા દિવસની ઉજવણી કરી મુસાફરોને કુમકુમ તિલકથી આવકારવામાં આવ્યા હતા, પરંતુ એ જ મુસાફરોને હવે એ એરપોર્ટમાં સુવિધા કરતાં વધુ દુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે.
એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગમાં શ્વાનો બેફામ ફરે છે, જેના કારણે મુસાફરોમાં ભયનો માહોલ છે. ટર્મિનલમાં એસ્કેલેટર બંધ હાલતમાં છે, જેના કારણે વૃદ્ધો અને દિવ્યાંગ મુસાફરોને ભારે પરેશાની વેઠવી પડે છે. અગાઉ ચા-કોફી માટે સ્ટોલ ખૂલવાની જાહેરાત થઇ હતી, પરંતુ હાલ એરપોર્ટ પર ચા, કોફી અને નાસ્તા જેવી પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ પણ મળતી નથી.