દિલ્હી લિકર પોલિસી કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા તેમની ધરપકડને પડકારતી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી સમાપ્ત થઈ ગઈ છે. હાલમાં સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન પર કશું કહ્યું નહોતું, કશું બોલ્યા વગર બેન્ચ ઊભી થઈ ગઈ અને આ સમયે વચગાળાના જામીન પર કોઈ આદેશ આપ્યો ન હતો. સુપ્રીમ કોર્ટે, મંગળવારે કથિત લિકર પોલિસી કેસમાં તેમની ધરપકડ વિરુદ્ધ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી કરતી વખતે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને ઘણા મહત્ત્વપૂર્ણ પ્રશ્નો પૂછ્યા. સુપ્રીમ કોર્ટે તપાસમાં વિલંબ પર EDને પ્રશ્ન કર્યો હતો કે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં સાક્ષીઓ અને આરોપીઓને સીધા સંબંધિત પ્રશ્નો કેમ પૂછવામાં આવ્યા નથી. કોર્ટે તપાસમાં ED દ્વારા લેવામાં આવેલા સમય પર સવાલ ઉઠાવતા કહ્યું કે વસ્તુઓને પ્રકાશમાં લાવવામાં બે વર્ષ લાગ્યાં.
સુપ્રીમ કોર્ટે મંગળવારે અરવિંદ કેજરીવાલને જામીન આપવા માટેની શરતો મૂકી. કોર્ટે જામીનનો વિરોધ કરી રહેલા EDને કહ્યું કે ચૂંટણી ચાલી રહી છે અને કેજરીવાલ વર્તમાન મુખ્યમંત્રી છે. ચૂંટણી 5 વર્ષમાં માત્ર એક જ વાર આવે છે. કોર્ટે કેજરીવાલને કહ્યું કે જો અમે તમને જામીન આપીશું તો તમે સત્તાવાર ફરજ બજાવી શકશો નહીં. અમે નથી ઈચ્છતા કે તમે સરકારી કામગીરીમાં દખલ કરો. જો ચૂંટણી જ ના હોત તો વચગાળાના જામીનનો પ્રશ્ન જ ઊભો ન થયો હોત.
કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું- અમે કોઈ ફાઇલ પર સહી નહીં કરીએ. શરત એ છે કે ફાઇલ પર હસ્તાક્ષર ન હોવાના આધારે એલજીએ કોઈપણ કામ અટકાવવું જોઈએ નહીં. હું એવું કંઈ બોલીશ નહીં જેનાથી નુકસાન થાય.