ગુજરાતના અમદાવાદમાં 12 જૂન 2025ની બપોરે એર ઇન્ડિયાનું લંડન જતું પ્લેન અકસ્માતનો ભોગ બન્યું હતું. લંડનના અખબાર ‘ધ ઇન્ડિપેન્ડન્ટ’નો એર ઇન્ડિયા પર એક રિપોર્ટ આવ્યો છે.
તે મુજબ એર ઇન્ડિયાએ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને વધારાના વળતરના બદલામાં કેસ કરવાનો અધિકાર છોડવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
એરલાઇન પરિવારોને વધારાના ₹10 લાખની અંતિમ રકમ આપીને સમજૂતીની ઓફર કરી રહી છે. કેટલાક કિસ્સાઓમાં આ ₹20 લાખ રૂપિયા સુધી છે.
પરિવારોએ આ શરત માનવી પડશે કે તેઓ ભવિષ્યમાં અકસ્માત સંબંધિત દાવો નહીં કરે અને તમામ કાનૂની જવાબદારીઓમાંથી કંપનીને મુક્ત કરશે. આ છૂટ કોઈપણ દેશ કે કોર્ટમાં લાગુ રહેશે.
એર ઇન્ડિયાના આ પ્રસ્તાવનો 130 પીડિતોના પરિવારોની લીગલ ટીમે વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે તપાસ પૂરી થઈ નથી. જવાબદારી નક્કી થઈ નથી. આવી સ્થિતિમાં કેસનો અધિકાર છોડવાનું કહેવું અયોગ્ય છે. કેટલાક ઘાયલ પરિવારોની સારવાર પણ હજુ ચાલુ છે.
આ મામલે એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે એર ઇન્ડિયા આ મુશ્કેલ પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલા દરેક પ્રભાવિત પરિવારની મદદ કરવા પ્રતિબદ્ધ છે. પ્રારંભિક વચગાળાની રકમ આપ્યા પછી અમે સુનિશ્ચિત કર્યું છે કે દરેક પરિવારને આપવામાં આવતી અંતિમ રકમ યોગ્ય અને કાયદા મુજબ હોય.