ઉન્નાવ રેપ કેસમાં પૂર્વ ભાજપ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને દિલ્હી હાઇકોર્ટની એક બેંન્ચે સજા મોકૂફ કરી દીધી. જેને લઈને NSUI દ્વારા ચાંદલોડિયામાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. કુલદીપસિંહ સેંગરના પોસ્ટર સળગાવીને ફાંસીની સજા આપવાની માગ સાથે NSUIના કાર્યકર્તાઓએ રસ્તો રોકી વિરોધ નોંધાવ્યો હતો. જોકે, તે બાદ પોલીસ દ્વારા NSUIના કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી.
જે દરમિયાન NSUIના કેટલાક કાર્યકર્તાઓના કપડા પણ ફાટી ગયા હતા. તો એક NSUIનો કાર્યકર્તા બેભાન થઈ જતા તેને હોસ્પિટલ લઈ જવાના બદલે પોલીસ સ્ટેશન લઈ ગઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ઉન્નાવ રેપ કેસમાં ટ્રાયલ કોર્ટમાંથી પૂર્વ ભાજપ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને 2019માં આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. આજીવન જેલની સજા મળ્યાનાં 6 કરતાં વધારે વર્ષ પછી દિલ્હી હાઇકોર્ટની એક બેન્ચે સજા મોકૂફ કરી દીધી. દિલ્હી હાઈકોર્ટે ઉન્નાવ રેપ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ભાજપમાંથી હાંકી કાઢવામાં આવેલા કુલદીપસિંહ સેંગરની આજીવન કેદની સજા સ્થગિત કરી દીધી હતી.
વર્ષ 2017માં ઉન્નાવમાં થયેલા રેપ અને હત્યા કેસમાં સજા ભોગવતા કુલદીપસિંહ સેંગરને રેપ કેસમાં જામીન મળતા ગુજરાતમાં NSUI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.