રાજકોટ નજીક ચાલુ ટ્રેનમાં નિવૃત પીઆઇ સાથે લૂંટની ઘટના સામે આવતા ગણતરીની કલાકમાં પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા ધર્મેન્દ્રસિંહ જાડેજા ગઈકાલે સવારે કોર્ટ મુદ્દતે જામનગરથી અમદાવાદ જવા વડોદરા જતી ઈન્ટરસિટીમાં બેઠા હતા. દરમિયાન હાપાથી ટ્રેન નીકળી અને જામવંથલી નજીક પહોંચતા ચાલુ ટ્રેનમાં તેમના પર મોઢે રૂમાલ બાંધેલા હિન્દીભાષી શખ્સે ધુમ્રપાન કરવા જેવી બાબતે બોલાચાલી કરી બાદમાં હુમલો કરી ઢીકાપાટુ તેમજ ટ્રેનમાં રખાયેલા આગ ઓલવવાના લોખંડના બાટલાથી બેફામ માર મારી લોહીલુહાણ કરી નાંખી તેમની પાસેના બે મોબાઇલ ફોન લૂંટી લેતાં રેલ્વે પોલીસની ટીમે તપાસ શરૂ કરી હુમલાખોરને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે હુમલામાં ગંભીર ઇજા પામનારા નિવૃત પીઆઇને સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
નિવૃત પીઆઇ અમદાવાદ કોર્ટ મુદતે જતા હતા જામનગરમાં જી.જી.હોસ્પિટલ પાસે રહેતાં ધર્મેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજા (ઉ.વ.77) જામનગર-વડોદરા ઇન્ટરસીટી ટ્રેનમાં બેસી ગઈકાલે વહેલી સવારે જામનગરથી અમદાવાદ જવા નીકળ્યા હતા ત્યારે 5 વાગ્યે ટ્રેન હાપાથી ઉપડી પડધરી પહોંચે તે પહેલા ચાલુ ટ્રેનમાં ધર્મેન્દ્રસિંહ પર અજાણ્યા શખ્સે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી તેમજ ટ્રેનમાં રખાયેલા આગ ઓલવવાના બાટલા વડે માથા-મોઢા પર બેફામ માર મારતાં લોહીલુહાણ થઇ ગયા હતાં. દરમિયાન ટ્રેન રાજકોટ સ્ટેશન આવી ત્યારે ધર્મેન્દ્રસિંહને લોહી નીકળતી હાલતમાં ટ્રેનમાંથી બહાર આવતાં લોકો એકઠા થઇ ગયા હતાં અને 108 મારફત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.