અમદાવાદમાં દિન-પ્રતિદિન હત્યાના બનાવો વધી રહ્યા છે, ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. 13 સપ્ટેમ્બરની મોડીરાત્રે વિરાટનગર બ્રિજ નીચેથી ઠક્કરનગર બ્રિજ પાસે આવેલી કૈલાસધામ વિભાગ 1માં રહેતા પાટીદાર અગ્રણી અને બિલ્ડર હિંમતભાઈ રૂડાણીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરેલી લાશ મળી આવી હતી. મર્સિડીઝ કારમાંથી દુર્ગંધ આવતા સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઓઢવ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બ્રિજ નીચે સફેદ કલરની પાર્ક કરેલી મર્સિડીઝ કારમાંથી બિલ્ડરનો મૃતદેહ કાઢી પીએમ અર્થે ખસેડ્યો હતો.
આ કેસમાં ઓઢવ પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીની ધરપકડ કરી છે. હિંમાશું ઉર્ફે રાહુલ હરીશભાઇ રાઠોડ (રહે.હિરાવાડી, ચાર રસ્તા અમદાવાદ), પપ્પુ હિરાજી મેઘવાલ (રહે. જાવલ શીરોહી, રાજસ્થાન) અને ત્રીજામાં સગીરનો સમાવેશ થાય છે. ત્રણેય આરોપીને રાજસ્થાનના શીરોહી પાસેથી પોલીસે પકડી લીધા છે. આરોપીઓએ નિકોલના સરદારધામના બેઝમેન્ટમાં હિંમતભાઈ રૂડાણીની હત્યા કરી હતી. આ હત્યા માટે પૂર્વ ભાગીદાર મનસુખ લાખાણી ઉર્ફે જેકીએ સોપારી આપી હત્યા કરાવી હોવાનો ખુલાસો થયો છે.
ઝોન-5 ડીસીપી ડૉ.જીતેન્દ્ર અગ્રવાલે જણાવ્યું કે, 13 સપ્ટેમ્બરના રોજ ઓઢવ પોલીસને વિરાટ નગર ચાર રસ્તા બ્રિજ નીચે કારમાં ડેડબોડી મળવાની જાણ થાય છે. ત્યાર બાદ પોલીસ તાત્કાલિક રવાના થાય છે અને સિનિયર અધિકારીઓને જાણ કરે છે. ઓઢવ, રામોલ અને નિકોલના તમામ પીઆઈ તથા ડીસ્ટાફની ટીમ બનાવી તપાસ કરવા આવે છે. આ તપાસ દરમિયાન 100 જેટલા સીસીટીવી તપાસતા બપોરના અઢી વાગ્યા આસપાસ જે કારમાં ડેડબોડી મળી આવી હતી તે કાર વિરાટનગર ચાર રસ્તા બ્રિજ નીચે મૂકી બાઈક લઈને ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.