રીબડા અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે કારણ કે, રીબડા અમિત ખુંટ આપઘાત કેસમાં મૃતક અમિતના ભાઈ મનીશ ખુંટ દ્વારા રાજ્ય જેલ વડાને લેખિત રજુઆત કરી અનિરુદ્ધસિંહની જેલ બદલી કરવા માટે માંગ કરવામાં આવી છે. આ લેખિત રજુઆતમાં જૂનાગઢ જેલ અધિક્ષક સાથે અનિરુદ્ધસિંહની સાંઠગાંઠ હોવાના તેમજ બેરેકમાંથી મોબાઈલ મળ્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
અમિત ખૂંટના ભાઈએ કરી રાજ્ય જેલવડાને રજુઆત મૃતક અમિત ખૂંટના ભાઈ મનીષ ખુંટ દ્વારા રાજ્ય જેલ વડાને અરજી કરતા જણાવ્યું હતું કે, જૂનાગઢમાં પાકા કામના આરોપી અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાને જિલ્લા જેલ જૂનાગઢના જેલ અધિક્ષક દિપકકુમાર મગનલાલ ગોહેલ સાથે સાંઠગાંઠ છે. જૂનાગઢ જેલ અધિક્ષક દિપકકુમાર ગોહેલ આરોપી અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાને મોબાઈલ ફોન તથા અન્ય ગેરકાયદેસર સગવડતા પુરી પાડી રહ્યા છે. ફક્ત એટલું જ નહિ આરોપીને ગેરકાયદેસર રીતે અવારનવાર અન્ય લોકો સાથે મળવા દે છે. આ મામલે અગાઉ પણ 11 ઓક્ટોબરના રોજ અરજી કરવામાં આવી હતી.
અનિરુદ્ધસિંહની બેરેકમાંથી મોબાઈલ મળ્યો હતો વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અનિરુદ્ધસિંહની બેરેકમાંથી મોબાઈલ મળી આવ્યો હતો જે અંગે જુનાગઢ પોલીસ દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજા વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ચેકઅપ કરાવવા આવ્યા હતા, જે પણ શંકાસ્પદ છે કારણ કે, આ અગાઉ પણ અનિરુદ્ધસિંહ જાડેજા જુનાગઢ જેલમાં હતા ત્યારે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ચેકઅપ કરાવવાનાં બહાને ખંડણી, ગેરકાયદેસર ચૂંટણી પ્રચાર અને અન્ય ગુનાહિત પ્રવૃતિઓ કરતા હતા જેની અરજીઓ અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં પણ થઇ હતી.