રાજકોટની રોજગાર કચેરી દ્વારા તાજેતરમાં જ ચૌધરી હાઈસ્કૂલ સ્થિત એમ. જે. કુંડલિયા કોમર્સ કોલેજ ખાતે એક વિશાળ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં વિવિધ ક્ષેત્રની કુલ 16 ખાનગી કંપની હાજર રહી હતી, જેઓ દ્વારા કુલ 400 જગ્યાઓ માટે ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા.
આ રોજગાર મેળામાં રાજકોટના ધારાસભ્ય દર્શિતાબેન શાહે જણાવ્યું હતું કે, ‘રાજકોટમાં છેલ્લા અઢી વર્ષમાં 177થી વધુ રોજગાર મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેના પરિણામે 80 હજારથી વધુ ઉમેદવારોને સારા પગાર ધોરણ સાથે નોકરી મળી છે. આ આંકડા દર્શાવે છે કે સરકાર અને ખાનગી ક્ષેત્રના સહયોગથી યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવામાં સફળતા મળી રહી છે
.એમ.જે. કુંડલિયા કોમર્સ કોલેજ ખાતે આ રોજગાર ભરતી મેળામાં એક્સપોર્ટ સેલ્સ એક્ઝિક્યુટિવ, એકાઉન્ટ મેનેજર, એચ.આર. મેનેજર, વીડિયો એડિટર, ઇમિટેશન, રિપોર્ટર, કેમેરા જર્નાલિસ્ટ સહિતની વિવિધ 400 જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ યોજાયા હતા.
આ નોકરીઓ માટે લગભગ 700 જેટલા ઉમેદવારોએ નોંધણી કરાવી હતી અને ઇન્ટરવ્યૂ સહિતની પ્રક્રિયામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રોજગાર કચેરી દ્વારા આયોજિત આ ભરતી મેળો રાજકોટના યુવાનો માટે એક આશાનું કિરણ સાબિત થયો છે.આ પ્રકારના પ્રયાસો યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડીને રોજગારીની સમસ્યા ઘટાડવામાં મદદરૂપ થઈ રહ્યા છે.
રોજગાર મેળામાં સાંસદ રામભાઈ મોકરિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ઉદ્યોગ-વ્યવસાય અને યુવાનો વચ્ચે સીધી જોડાણની તક મળે છે. જેના પરિણામે યોગ્ય પ્રતિભાને યોગ્ય રોજગાર મળવામાં સરળતા થાય છે અને શહેરના યુવાનોને કરિયર નિર્માણના નવા માર્ગ ખુલ્યા છે.