મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારના અંતિમ સંસ્કાર આજે સવારે 11 વાગ્યે બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાનમાં કરવામાં આવશે. તે પહેલાં તેમનો પાર્થિવ દેહ વિદ્યા પ્રતિષ્ઠાન અને તેમના પૈતૃક ગામ કોટેવાડીમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.
પવારના અંતિમ સંસ્કારમાં મહારાષ્ટ્ર સરકારનું આખું મંત્રીમંડળ હાજર રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ બારામતી આવશે. પીએમ મોદી પણ અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શકે છે. જોકે, તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પવારનો આખો પરિવાર પણ બારામતી પહોંચી ગયો છે.
બુધવારે રાત્રે પણ પવારનો પાર્થિવ દેહ વિદ્યા પ્રતિષ્ઠાનમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને ફરીથી પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોલ્કર ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યો હતો.
અજિત પવારનું નિધન બુધવારે સવારે 8.46 વાગ્યે થયું. તેઓ 66 વર્ષના હતા. બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન તેમનું ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં પવારના સુરક્ષાકર્મી, બે પાઇલટ અને એક મહિલા ક્રૂ સહિત 5 લોકોના મોત થયા હતા.
પવાર 5 ફેબ્રુઆરીએ પુણેમાં યોજાનારી જિલ્લા પરિષદની ચૂંટણીઓ માટે 4 રેલીઓને સંબોધિત કરવાના હતા. તેઓ મુંબઈથી સવારે 8.10 વાગ્યે રવાના થયા હતા. પવારના નિધન પર મહારાષ્ટ્રમાં 3 દિવસનો રાજકીય શોક રાખવામાં આવ્યો છે.