રાજકોટના અગ્નિકાંડમાં હજુ સુધી કોઇ નક્કર પગલાં ભરાયા નથી અને જવાબદાર મોટી માછલીઓને બચાવવાના ખેલ થઇ રહ્યા છે તેવા આક્ષેપ સાથે શનિવારે કોંગ્રેસ પોલીસ કમિશનર કચેરીને ઘેરાવ કરી કમિશનરને આવેદનપત્ર પાઠવશે. કોંગ્રેસના ગુજરાતના એક માત્ર સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના આગેવાનો આ સમયે હાજર રહેશે.
અગ્નિકાંડ બાદ છેલ્લા પંદર દિવસથી રાજકોટમાં ડેરા તંબુ તાણીને બેઠેલા પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, દુર્ઘટનાનો ભોગ બનેલી લોકોના પરિવારજનોને રૂબરૂ મળીને તેમની વેદના સાંભળી છે. તે લોકો તેમજ રાજકોટ શહેરના લોકોમાં એક જ ચર્ચા છે કે, આ દુર્ઘટનાના સાચા જવાબદારો સામે કાર્યવાહી થાય તેવા કોઇ નિર્દેશ મળતા નથી.