રાજકોટના TRP ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડમાં રાજકોટ મનપાના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાની ધરપકડ બાદ અનેક મોટા માથાના નામ બહાર આવશે, તેવી ચર્ચા ઠેર-ઠેર ચર્ચાઈ રહી હતી. આ તમામ વચ્ચે આજરોજ (21 જૂન) કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આક્ષેપ કર્યો છે કે, રાજકોટ ભાજપના પૂર્વ ધારાસભ્યએ જેલમાં સાગઠિયાનો સંપર્ક કરીને તેને ફોડવાની કોશિષ કરી હતી. સરકાર ફક્ત સાગઠિયા પર ઠીકરું ફોડી મોટા નેતાઓને બચાવી રહી છે. મેવાણીના આ નિવેદનથી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને આ નિવેદનમાં તથ્યતા કેટલી છે, તે મુદ્દે સવાલો ઉઠી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, અગ્નિકાંડમાં 27 લોકોના મોત બાદ કોંગ્રેસ દ્વારા પીડિતોને ન્યાયની માગ સાથે સીટમાં નોન કરપ્ટેડ અધિકારીઓની નિમણૂક કરી પીડિતોને એક કરોડની સહાય સહિતની અલગ-અલગ માંગણી સાથે આગામી 25 જૂનના રોજ રાજકોટ સ્વયંભૂ બંધનું એલાન આપ્યું છે. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિત કોંગી નેતાઓ અલગ-અલગ વિસ્તારમાં ફરી વેપારીઓ અને લોકોને બંધમાં સ્વયંભૂ જોડાવવા હાથ જોડી અપીલ સાથે વિનંતી કરી રહ્યા છે અને ન્યાય માટેના મુદ્દાઓની પત્રિકાનું વિતરણ કરી રહ્યા છે.